તત્ત્વજ્ઞાન ક્ષેત્રે ભારત સરકાર સંચાલિત સર્વોચ્ચ સંસ્થા Indian Council of Philosophical Research (ICPR) દ્વારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને ICPRનું સર્વોચ્ચ સન્માન ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ સમર્પિત.

૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના દિવસે દિલ્હીમાં Indian Council of Philosophical Research (ICPR) (Ministry of Education, Government of India) દ્વારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને દેશભરના મૂર્ધન્ય વિદ્વાનો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની વિશેષ વિગતો અત્રે પ્રસ્તુત છે.

ICPR ભારતીય શિક્ષામંત્રાલય દ્વારા પ્રવૃત્ત સંસ્થા છે. આ સંસ્થાએ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આપ્યું. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને અનુસરીને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ગીતા પર રચેલાં ભાષ્યો તેમજ વાદગ્રંથ દ્વારા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં શતાબ્દીઓ પછી એવી ઘટના બની છે કે કોઈ એક જ ભાષ્યકાર દ્વારા સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર ભાષ્યો ઉપરાંત વાદગ્રંથનું પણ નિર્માણ થયું હોય. આ ઉપરાંત પ. પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી દેશ-વિદેશનાં અનેક વિશ્વવિદ્યાલયો, શોધ-સંસ્થાનો તથા શૈક્ષણિક સંકુલોમાં જઈને વિદ્વાનો સાથે વૈદિક દર્શનો અંગે વિમર્શ કરી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં નૂતન યોગદાન આપ્યું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને ICPR દ્વારા ઉપરોક્ત સન્માનનો નિર્ણય લેવામાં આવ્યો.

ICPR દ્વારા આયોજિત ‘Various Dimensions of the Aksharpurushottam Darshan’ વિષયક ત્રિદિવસીય પરિસંવાદના પૂર્ણાહુતિ અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યાતિથિ તરીકે પ્રસિદ્ધ નેતા, લેખક અને વિચારક ડૉ. શ્રી રામ માધવ (પૂર્વ રાષ્ટ્રિય સચિવ, ભાજપ) ઉપસ્થિત હતા. આ ઉપરાંત ICPRના ચેરમેન પ્રૉ. આર. સી. સિન્હા, અખિલ ભારતીય દર્શન પરિષદના અધ્યક્ષ પ્રૉ. જટાશંકર તિવારી, સંસ્કૃતભારતીના સહસંસ્થાપક તેમજ પ્રાંતીય ભાષા સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રી, તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીમુરલીધર શર્મા, ICPRના મેમ્બર સેક્રેટરી પ્રૉ. સચ્ચિદાનંદ મિશ્રા, કાશીના પ્રખર વેદાંતી પ્રો. શ્રીરામકિશોર ત્રિપાઠી સહિત ભારતભરનાં દસથી વધારે વિશ્વવિદ્યાલયોના મૂર્ધન્ય વિદ્વાનો તેમજ BAPS સંસ્થાના વરિષ્ઠ વિદ્વાન ષડ્દર્શનાચાર્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી શ્રીનિવાસ વરખેડીજીએ વિડીયો સંદેશ દ્વારા ભદ્રેશદાસ સ્વામીને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે ઉપસ્થિત વિવિધ વિદ્વાનોએ અક્ષરપુરુષોત્તમ દર્શનની શાસ્રીય પ્રમાણભૂતતા વિશે તથા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની વિદ્વત્તા વિશે તેમજ BAPS સંસ્થાના કાર્યો અને પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ સમારોહ માટે ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિના કુલપતિ શ્રીમુરલીધર શર્માએ ICPRને અભિનંદન પાઠવતાં કહ્યું, “હું ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદને અભિનંદન આપું છું કે તેમણે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે યોગ્ય વિદ્વાનની પસંદગી કરી છે.” વળી તેમણે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી વિશે અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, “સમાજમાં ઘણા વિદ્વાન એવા હોય છે જેઓ એવોર્ડની પાછળ દોડે છે પરંતુ ભદ્રેશદાસ સ્વામી જેવા એક સંપ્રદાયને સંસારમાં પ્રતિષ્ઠિત કરવા માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દેનાર વિદ્વાનની પાછળ સન્માનો ફરે છે. આજે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમને પામીને ધન્ય થયો છે.” ભદ્રેશદાસ સ્વામી દ્વારા લિખિત પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય વિષે પોતાનો અભિપ્રાય આપતાં તેમણે કહ્યું, “આટલી સરળ અને શાસ્ત્રીય ભાષામાં પ્રસ્થાનત્રયી પરના ભાષ્યની રચના સામાન્ય વાત નથી. આ ભાષ્યમાં કોઈનું ખંડન નથી. ભદ્રેશદાસ સ્વામી એક અભિનવ ભાષ્યકાર છે.” અક્ષરપુરુષોત્તમ દર્શનની વૈદિકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “અમારા આમંત્રણથી ભદ્રેશદાસ સ્વામીએ તિરુપતિમાં દક્ષિણના મૂર્ધન્ય ૩૫ થી વધુ વિદ્વાનો સાથે દિવસો સુધી ચર્ચા કરી હતી, જેની ફળશ્રુતિરૂપે બધા વિદ્વાનોએ એકસૂત્રતાથી સ્વીકાર્યું હતું કે અક્ષરપુરુષોત્તમ દર્શન એક સંપૂર્ણ વૈદિક અભિનવ દર્શન છે.”

આ પ્રસંગે કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રી શ્રીનિવાસ વરખેડીજીએ વિડિયો સંદેશ દ્વારા પોતાનો અભિપ્રાય પ્રદર્શિત કરતાં જણાવ્યું, “આ એક વિદ્વાનનું, એક ભાષ્યકારનું સન્માન છે. પ્રસ્થાનત્રયી પરના સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શનને એક શાસ્ત્રીય પરિભાષાની વ્યવસ્થામાં વિદ્વાનો સમક્ષ રજૂ કર્યું છે. પ્રસ્થાનત્રયીના આધારે આજે તેમણે એક નવું દર્શન, નવો સિદ્ધાંત પ્રગટ કર્યો છે. આજે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ દ્વારા તે દર્શનને રાષ્ટ્રીય સમર્થન મળ્યું છે.”

અખિલ ભારતીય દર્શન પરિષદના અધ્યક્ષ પ્રો. જટાશંકર તિવારીજીએ આજના સમાહારોહની મહત્તા દર્શાવતાં કહ્યું, “શતાબ્દીઓમાં એક એવા મહાપુરુષ પ્રગટ થાય છે જે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય કરે. તે મહાપુરુષની પરંપરામાં ભદ્રેશદાસ સ્વામીએ નવી કડી જોડી દીધી છે. જ્યારે એક ભાષ્યના એક અંશના અભ્યાસમાં આખું જીવન વીતી જાય ત્યારે પ્રસ્થાનત્રયી પરના ભાષ્યની રચનામાં તેમને કેટલો શ્રમ પડ્યો હશે એ અકલ્પનીય છે.” અક્ષરપુરુષોત્તમ દર્શનની આગવી ઓળખનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું, “ત્રણ દિવસની ચર્ચા પછી પ્રતીત થાય છે કે આ ભાષ્યમાં જે અક્ષરપુરુષોત્તમ દર્શનની વાત કરી છે તે દર્શન વિદ્વાનો દ્વારા આદર પામવા યોગ્ય છે.”

સંસ્કૃતભારતી સંસ્થાના સહસંસ્થાપક તેમજ પ્રાંતીય ભાષા સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, “ભદ્રેશદાસ સ્વામીને આ પુરસ્કાર આપવાથી ICPRનું મહત્ત્વ વધ્યું છે, પુરસ્કારનું મહત્ત્વ વધ્યું છે. આપણને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને તેમના સમયમાં આપણી પણ ઉપસ્થિતિ છે એ આપણું મોટું ભાગ્ય છે.”

ICPR ના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ સન્માનનો હેતુ જણાવતાં કહ્યું, “આ પુરસ્કાર આપણી સામે એક આદર્શ ઉપસ્થિત કરવા માટે દેવામાં આવે છે.” ત્યારબાદ તેમણે આ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડના સન્માનપત્રનું વાંચન કરતાં કહ્યું, “આપને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા એ ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ અને સમગ્ર દાર્શનિક જગત માટે એક ગૌરવનો વિષય છે…જો કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આપના મહાન કાર્યને કોઈ જ ઓળખની જરૂર નથી, પરંતુ ભારતીય દર્શનને વધુ સમૃદ્ધ કરનાર આપની નિઃસ્વાર્થ આજીવન સેવાને સન્માનિત કરવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે…અમારા સમયના જીવંત ભાષ્યકાર મહાનાચાર્યને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પ્રદાન કરી ICPR ગર્વ અનુભવે છે…” વાંચન બાદ ICPRના ચેરમેન પ્રૉ. આર. સી. સિન્હા તેમજ ICPRના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર (લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ) મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને એનાયત કર્યો, જે ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ મહારાજના ચરણે સમર્પિત કર્યો. ઉપસ્થિત સૌ સભાજનોએ પણ ઊભા થઈ standing ovation દ્વારા ભદ્રેશદાસ સ્વામીનું બહુમાન કર્યું અને તાળીઓના ગડગડાટ સાથે આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી.

ત્યારબાદ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે તેઓ તો એક અબુધ તોફાની બાળક હતા જેમને અભ્યાસમાં કોઇ રુચિ ન હતી. પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે તેમને પ્રેમથી સ્વીકાર્યા, પોતાના ખોળામાં બેસાડીને સુધાર્યા અને અભ્યાસમાં પ્રેરિત કર્યા. ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું, સંભાળ રાખી, શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર અભ્યાસમાં પણ જોડ્યા. આથી અહીં જે પ્રશંસા થઈ છે તે પેલા તોફાની બાળકની નહીં પરંતુ તેનું ઘડતર કરનાર સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રશંસા છે. આજનું સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સન્માન છે, પ્રગટ ગુરુહરિ પ. પૂ. મહંતસ્વામી મહારાજનું સન્માન છે. વળી તેમણે કહ્યું, “જો સ્વામિનારાયણ ભગવાને પોતાના ઉપદેશમાં અક્ષર અને પુરુષોત્તમ તત્ત્વની ચર્ચા ન કરી હોત તો શું ભાષ્ય લખાત? તેથી આ સન્માન ભગવાન સ્વામિનારાયણનું છે. જો પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે મને ભાષ્ય લખવાની આજ્ઞા જ ન આપી હોત તો હું શું ભાષ્ય લખત? તેથી આ સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું છે અને અત્યારે પણ બધું કાર્ય અમારા ગુરુ પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જ થાય છે. તેથી આ સન્માન પ. પૂ. મહંતસ્વામી મહારાજનું છે.” અંતમાં તેમણે કહ્યું, “સાધુ માટે તો સાધુતા જ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ છે. સદ્. મુક્તાનંદ સ્વામી પ્રમાણે ‘તન કી ઉપાધિ તજે સોઈ સાધુ’ આવી સાધુતાનો પુરસ્કાર આ જ જીવનમાં હું પ્રાપ્ત કરી શકું એવી આજે પ્રાર્થના કરું છું.”

આજના સમારોહના મુખ્ય અતિથિ, પ્રસિદ્ધ નેતા, લેખક અને વિચારક ડૉ. શ્રી રામ માધવજીએ ભદ્રેશદાસ સ્વામી વિશે વાત કરતાં કહ્યું, “ભદ્રેશદાસ સ્વામી એક પ્રકાંડ વિદ્વાન છે.” વળી સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તેમણે કહ્યું, “આ દેશની મહાન સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતાની મહાનતાનો સંદેશ લોકો સુધી સદા પહોંચતો રહે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું યોગદાન રહેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ મોટો ભક્તિ સંપ્રદાય છે, જેના માધ્યમથી દેશની ધાર્મિક પરંપરા આગળ વધતી રહી છે. આજે જ્યારે વિજ્ઞાનની પ્રગતિ સાથે જ્ઞાનની પણ આવશ્યકતા જણાય છે ત્યારે ભદ્રેશદાસ સ્વામીએ એ જ જ્ઞાનપરંપરાને આગળ વધારી છે.”

ICPRના ચેરમેન અને સમારંભના અધ્યક્ષ પ્રૉ. આર. સી. સિન્હાએ જણાવ્યું, “ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ અને અખિલ ભારતીય દાર્શનિક પરિષદને સંતોના આશીર્વાદ મળતા રહ્યા છે. યદ્યપિ સંત માટે એવોર્ડ કોઈ મહત્ત્વ નથી ધરાવતો પણ આ એવોર્ડ આપવાથી ICPR સન્માનિત થયું છે, તેની ગરિમા વધી છે. આ સભા જોતાં લાગે છે કે ICPR ધન્ય થઈ ગયું છે.”

ત્યારબાદ આ પ્રસંગ નિમિત્તે પ. પૂ. મહંતસ્વામી મહારાજે પાઠવેલા આશીર્વાદનું વાંચન શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ કર્યું, જેમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજે લખ્યું હતું, “ICPR દ્વારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થઈ રહ્યા છે એ ક્ષણ આપણા સૌ માટે એક ઐતિહાસિક છે. ભદ્રેશદાસ સ્વામીએ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં સ્વામિનારાયણ ભાષ્ય, સ્વામિનારાયણ સિદ્ધાન્તસુધા જેવા અનેક ગ્રંથોની રચના કરી છે તેથી આ સન્માન ફક્ત ભદ્રેશદાસ સ્વામીનું જ નથી પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પ્રસંગે તેમનું પણ છે…”

આ સમારોહના અંતે પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ પોતાના સમાપન વક્તવ્યમાં પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની આર્ષ દૃષ્ટિનો પરિચય આપતાં કહ્યું હતું, “શિલ્પકાર એક પત્થરમાં મૂર્તિ જુએ તે રીતે ભાષ્ય લખાયાના ૨૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૭થી જ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ ભદ્રેશદાસ સ્વામીને ભાષ્યકારના રૂપમાં જોઈ રહ્યા હતા. તે સમયે તો ભદ્રેશદાસ સ્વામીની ઉંમર ઘણી નાની હતી પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘આ ભદ્રેશદાસ સ્વામી ભાષ્ય લખશે.’’’ અંતે તેમણે આ પ્રકારે ભારતીય દાર્શનિક પરંપરાનું સન્માન કરવા બદલ ICPRનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ અવસરે સંસ્કૃત વાઙ્મયના ક્ષેત્રે ભારતની નામાંકિત જર્નલ ‘व्यासश्री:’ દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શન પરનો વિશેષાંક પણ પ્રકાશિત કરાયો હતો. જર્નલના મુખ્ય સંપાદક પ્રો. શ્રી બુદ્ધેશ્વર ષડંગીજીએ કહ્યું, “व्यासश्री: વર્ષમાં બે વાર પ્રકાશિત થતી સંસ્કૃત તથા સંસ્કૃતિના પ્રચારમાં રત ISSN marked અને UGC referred જર્નલ છે. જેના દરેક અંકમાં મુખપૃષ્ઠ પર એક વિદ્વાનની છબિ સાથે તેમને તે અંક સમર્પિત કરવામાં આવે છે જેથી ભવિષ્યની પેઢી પણ તેમના યોગદાનને જાણી શકે. અમારી ઇચ્છા હતી કે ભદ્રેશદાસ સ્વામીની છબિ પણ મુખપૃષ્ઠ પર મૂકવી પણ તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને અને આ અંકને પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ અને ગુરુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં સમર્પિત કરવા કહ્યું. व्यासश्री:ના પ્રકાશિત ૧૯ અંકોમાં આ પ્રથમ એવો અંક છે જેમાં કોઈ વિદ્વાનની છબિ મુખપૃષ્ઠ પર નથી, આ એમની વિનામ્રતાનું પ્રમાણ છે. આ અંકમાં અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયે વિદ્વાનો દ્વારા રજૂ કરાયેલા એક એક શોધપત્ર પર મહિના સુધી ચર્ચા કરી શકાય એમ છે અને શોધપ્રબંધ લખી શકાય એમ છે.”

આ પ્રસંગે કાશીના બહુમાન્ય વિદ્વાન પ્રો. રામકિશોર ત્રિપાઠીજીનું BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા ‘વેદાંત માર્તંડ’ની ઉપાધિથી અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રો. રામકિશોર ત્રિપાઠીજીની વિદ્વત્તાનો પરિચય આપતાં ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, “વિદ્વાનોને સન્માનની અપેક્ષા નથી હોતી પણ વિદ્યા સન્માનને આકર્ષે છે. પ્રો. રામકિશોર ત્રિપાઠીજી મહાન વિદ્વાન છે, વેદાંત વિભૂતિ છે. તેઓ નવથી વધુ વેદાંતદર્શનોનો અભ્યાસ કરાવે છે. તેમની આ વિદ્વત્તાને સત્કારતાં BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી અવસરે તેમને ‘વેદાંત માર્તંડ’ની ઉપાધિથી સન્માનિત કરે છે.”

દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમને વેબકાસ્ટ દ્વારા પણ દેશ-વિદેશમાં અનેક લોકોએ નિહાળ્યો હતો. આ રીતે સમગ્ર વૈદિક સનાતન ધર્મના ક્ષેત્રમાં તથા દાર્શનિક દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઐતિહાસિક સમારોહ સંપન્ન થયો. દાર્શનિક જગતનું ગૌરવ વધારનારો આ સન્માન સમારોહ નિહાળનાર સૌ માટે ચિરસ્મરણીય બની રહ્યો. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધારનાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન.

Gallery

Stage guests during the valedictory session

Dr. Jankisharan Acharya addresses the assembly

Munivatsaldas Swami welcomes the stage guests of the assembly

Scholars during the valedictory session

Inauguration of the ‘Akshar-Purushottam Darshan’ special edition of the Vyasashri journal

Prof. Buddheswar Sarangi, chief editor of the Vyasashri journal, addresses the assembly

The audience intently listens to the Master of Ceremony

Bhadreshdas Swami honors Prof. Ramkishor Tripathi

Prof. Ramkishor Tripathi is felicitated with the ‘Vedant Martand’Award

Prof. Ramkishor Tripathi conveys his sentiments

Scholars intently listen to the special guest addresses

Prof. Muralidhar Sharma, the Vice Chancellor of NSU Tirupati, addresses the assembly

Prof. Sachchidananda Mishra, Member Secretary of ICPR, reads the citation for the Lifetime Achievement Award

Padma Shri Chamu Krishna Shastry addresses the assembly

R.C. Sinha, chairman of ICPR, along with other dignitaries felicitate Bhadreshdas Swami with the Lifetime Achievement Award

Menu